January 06, 2011

અનંતકોટિ બ્રમ્હાંડનાયક રાજાધિરાજ...

અનંતકોટિ બ્રમ્હાંડનાયક રાજાધિરાજ પરમ કૃપાળુ પરમાત્મા પોતે આજે પોતાનાં સૂવર્ણરથ પર આરૂઢ થઈને પોતાનો દિવ્ય ખજાનો લૂટાવવા નીકળ્યા હતા. તેઓ દરેક દ્વારે રથને થોભાવી જાતે નીચે ઊતરતા અને જે કોઈ જે કાંઈ ભેટ અર્પણ કરે તે સ્મિત સાથે પ્રેમથી સ્વીકારતા હતા. તેમનાં જાદૂઈ સ્પર્શથી તેમને ધરાવેલી સર્વ ભેટ સૂવર્ણની બની જતી હતી. આમ તુચ્છ ભેટને સૂવર્ણમા બદલી તેઓ પરત આપતા હતા. હર્ષાવેષમાં રાહ જોતા સૌ કોઈ પોતાનાં દ્વાર પાસે પ્રતીક્ષા કરતા ઊભા હતા. અને સૂવર્ણભેટો મેળવનારા તેમને જુકી જુકી દુવા આપતા હતા.
આખરે તેઓ મારી ઝુપડીએ આવી જ પહોંચ્યા. મેં ફિક્કા ચહેરે સ્મિત કર્યું. જગતનાં નાથને કંઈ પણ આપી શકવા જેટલો સમર્થ હું ક્યાં હતો ?
"મારી પાસે કંઈ નથી નાથ જે હું તમને આપી શકું...તેથી હું મારી જાત આપને આપું છું." કહિ મે તેમનાં ચરણોમાં પડતું મૂક્યું. મારા ધસમસતા અશ્રુઓના પ્રવાહને તેમનાં કોમળ હાથ વડે લૂછતા તેમણે મને ઉપર ઊઠાવી ગળે લગાવી લીધો. પછી મારો હાથ જાલી મારી ઝુંપડીમા દોરી ગયાં. ને ત્યાંજ રોકાઈ ગયાં...હંમેશને માટે !
મેં કરેલા આત્મસમર્પણનો આજતો બદલો હતો !

No comments:

Post a Comment